(ગઝલને પ્રાણવાયુ સાથે સરખાવનાર કવિ મનોજ ખંડેરિયાના સ્મરણ અને વંદન સાથે એક રચના)
મેં ઘણી વાર એ વિચાર્યું છે;
કે વિચારીને કોણ ફાવ્યું છે?
ક્યાં સમય પાસે કાંઈ માંગ્યું છે?
ભાગમાં આવ્યું એ સ્વીકાર્યું છે;
આંગળી ઝાલી કોઈની ચાલ્યા!
એટલે આટલે અવાયું છે;
દોસ્તોના ખભા મળ્યા એથી,
મન મૂકીને રડી શકાયું છે;
કાંકરા નાખતા રહ્યા લોકો!
તળ એ કારણથી ઊંચું આવ્યું છે;
આંકવું મૂલ્ય એનું રહેવા દો!
પોત છે શબ્દનું, સવાયું છે;
એ જીવાડે છે રોજ આપણને,
આ ગઝલ છે કે પ્રાણવાયુ છે?
દાદની બહુ અપેક્ષા ના રાખો;
આ બધું પહેલા પણ લખાયું છે.
: હિમલ પંડ્યા
No comments:
Post a Comment