Monday 12 June 2017

(ગઝલને પ્રાણવાયુ સાથે સરખાવનાર કવિ મનોજ ખંડેરિયાના સ્મરણ અને વંદન સાથે એક રચના)

મેં ઘણી વાર એ વિચાર્યું છે;
કે વિચારીને કોણ ફાવ્યું છે?

ક્યાં સમય પાસે કાંઈ માંગ્યું છે?
ભાગમાં આવ્યું એ સ્વીકાર્યું છે;

આંગળી ઝાલી કોઈની ચાલ્યા!
એટલે આટલે અવાયું છે;

દોસ્તોના ખભા મળ્યા એથી,
મન મૂકીને રડી શકાયું છે;

કાંકરા નાખતા રહ્યા લોકો!
તળ એ કારણથી ઊંચું આવ્યું છે;

આંકવું મૂલ્ય એનું રહેવા દો!
પોત છે શબ્દનું, સવાયું છે;

એ જીવાડે છે રોજ આપણને,
આ ગઝલ છે કે પ્રાણવાયુ છે?

દાદની બહુ અપેક્ષા ના રાખો;
આ બધું પહેલા પણ લખાયું છે.

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment