અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે;
તું કહે છે એટલે માની લઉં,
તું કહે છે એ હંમેશા થાય છે;
કોણ જાણે શું હવે દઈને જશે,
આ દશા સુખ-ચેન તો લઈ જાય છે;
આંસુઓએ બેધડક પૂછી લીધું!
એ જ રસ્તે કાં ફરીથી જાય છે?
આવવા જેવું જ ન્હોતું અહીં સુધી,
એ અહીં આવ્યા પછી સમજાય છે;
હું બીજું તો શું કહું એના વિશે?
ખોટ છે, ને ખોટ તો વરતાય છે.
: હિમલ પંડ્યા
No comments:
Post a Comment