વારતાનો એ ય વારસ નીકળે,
આપણી અંદર સિસીફસ નીકળે.
ખંતથી જે ખેલમાં ઝંપલાવીએ,
એ ય અંતે એક સરકસ નીકળે.
એક નિયમ પાળવો સહુને ગમે,
કાઢવાનો, જેટલો કસ નીકળે.
કાંઈ મેં પૂછ્યું નથી એ બીકથી,
ક્યાંક એની દુ:ખતી નસ નીકળે!
જોજનોનું હોય અંતર, એ છતાં
જો ચીરું છાતી, તું ચોક્કસ નીકળે.
આ પીડાની નાભિનું નિશાન લ્યો!
એકને અટકાવતા દસ નીકળે.
થાય આપણને, દયા એ દાખવે,
રાહ એને હોય કે, ‘બસ’ નીકળે.
: હિમલ પંડ્યા
(સિસીફસ– ગ્રીક માયથોલોજીનું એક પાત્ર)
No comments:
Post a Comment